પોરબંદર: ગુજરાતના દરિયાકાંઠે દાણચોરી અને પ્રતિબંધિત વસ્તુઓની ઘૂસણખોરી રોકવા માટે ભારતીય દરિયાઈ સુરક્ષા એજન્સીઓએ ફરી એકવાર મોટી સફળતા મેળવી છે. દેવભૂમિ દ્વારકાથી અંદાજે 115 નોટિકલ માઈલ દૂર અરબી સમુદ્રમાં હાથ ધરાયેલા સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન ‘અલ મુખ્તાર’ નામની ઈરાની બોટને કરોડો રૂપિયાની વિદેશી સિગારેટના જથ્થા સાથે ઝડપી લેવામાં આવી છે. આ કાર્યવાહીથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બન્યાનું માનવામાં આવે છે.
મળેલી ચોક્કસ ગુપ્તચર બાતમીના આધારે સુરક્ષા એજન્સીઓએ મધદરિયામાં શંકાસ્પદ હિલચાલ કરતી એક વિદેશી બોટ પર નજર રાખી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરિયામાં પીછો કર્યા બાદ સુરક્ષા દળોએ બોટને ઘેરી લીધી અને તેની પ્રાથમિક તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બોટનું નામ ‘અલ મુખ્તાર’ છે અને તેમાં ચાર ઈરાની નાગરિકો સવાર હતા.
બોટની ઝીણવટભરી તપાસ દરમિયાન જહાજના હોલ્ડમાં ખૂબ જ ચાલાકીપૂર્વક બનાવાયેલું ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. આ ખાનેમાંથી આશરે 200 જેટલા કાર્ટન મળી આવ્યા, જેમાં અંદાજે 1 લાખ પેકેટ વિદેશી બ્રાન્ડની સિગારેટ હોવાની પુષ્ટિ થઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત અંદાજે 2.5 કરોડથી 5 કરોડ રૂપિયા વચ્ચે હોવાનું અનુમાન છે. આ જથ્થો ભારતની જળસીમામાં કોઈપણ અધિકૃત પરવાનગી વગર લાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
બોટમાં સવાર ચારેય ઈરાની નાગરિકોને અટકાયત કરીને વધુ તપાસ માટે પોરબંદર જેટી પર લાવવામાં આવી રહ્યા છે. તેમની પાસે મળેલા દસ્તાવેજો, બોટની વિગતો અને પ્રવાસના હેતુ અંગે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત પૂછપરછ હાથ ધરાઈ છે. જરૂરી જણાશે તો જહાજનું ફોરેન્સિક પરીક્ષણ પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પોરબંદરથી લગભગ 140 નોટિકલ માઈલ દૂર સમુદ્રમાંથી થોડા દિવસો પહેલાં જ કેમિકલ આધારિત ડ્રગ્સનો જથ્થો મળ્યો હતો. તેની એક અઠવાડિયામાં જ હવે દ્વારકાના દરિયામાંથી વિદેશી સિગારેટની મોટી દાણચોરી ઝડપાતા સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે. ગુજરાતનો વિશાળ દરિયાકાંઠો છેલ્લા કેટલાક સમયથી દાણચોરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતો હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે.
હાલ તપાસ એ દિશામાં ચાલી રહી છે કે આ સિગારેટનો જથ્થો કયા દેશમાંથી લાવવામાં આવ્યો હતો અને ગુજરાતના દરિયાકાંઠે તેને કોને સપુર્દ કરવાનું હતું. શું આ સમગ્ર મામલામાં કોઈ આંતરરાષ્ટ્રીય દાણચોરી નેટવર્કની સંડોવણી છે કે નહીં તે બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે. ઉપરાંત, બોટમાં અન્ય કોઈ પ્રતિબંધિત સામાન અથવા નશીલા પદાર્થો છુપાવવામાં આવ્યા હતા કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે દરિયાઈ પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે અને ગુપ્તચર તંત્રને વધુ સક્રિય બનાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે ભારતીય જળસીમામાં ગેરકાયદે પ્રવેશ અને દાણચોરીના પ્રયાસો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.